Monday, May 3, 2010

જ્યાં શિવ અને શક્તિની ભક્તિ દ્વારા શક્તિનો સંચાર થાય છે...

ભગવાન શિવનું આ પવિત્ર મંદિર નલ્લામલાઇના આકર્ષક પહાડની ટોચ પર છે. શ્રી સેલમનું આ ક્ષેત્ર અત્યંત ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે.



Shiva Jyotirligaભગવાન શિવનુ બીજું જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના કર્નુલ જિલ્લામાં કૃષ્ણા નદીને કાંઠે શ્રીશૈલમ્ પહાડ પર આવેલું છે. હૈદરાબાદથી તે લગભગ 210 કિલોમીટર દૂર છે. ભગવાન શિવનું આ પવિત્ર મંદિર નલ્લામલાઇના આકર્ષક પહાડની ટોચ પર છે. શ્રી સેલમનું આ ક્ષેત્ર અત્યંત ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે. અહીં ભગવાન શિવના બારમા જ્યોતિર્લિંગની સાથે મહાશક્તિઓમાં એક ભ્રમરામ્બા દેવી પણ બિરાજમાન છે. અહીં શિવ અને શક્તિના બંને રુપ સ્વયંભૂ માનવામાં આવે છે. આ પહાડને શ્રી પર્વત, મલયા ગિરિ અને ક્રોંચ પર્વત પણ કહે છે. તેને દક્ષિણનો કૈલાશ પણ કહેવાય છે.



મંદિર- શ્રી સેલમ પહાડ પર સ્થિતિ મલ્લિકાર્જુનનું આ મંદિર એક કિલ્લાની ભ્રાંતિ કરાવે છે અને પોતાની સુંદર કલાકૃતિઓ માટે સમૃદ્ધ છે. મંદિરનો પ્રવેશદ્વાર પૂર્વ દિશા તરફ છે, જેની સામે નંદીની વિશાળ મૂર્તિ છે. મંદિરમાં અનેક સુંદર કલાકૃતિઓ બની છે, જે પરિસરને આકર્ષક બનાવે છે. અહીં સંત વૃંગીની ત્રણ પગ પર ઊભી રહેલી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે. તેની પાછળ એવી માન્યતા છે કે સંત વૃંગી દ્વારા માત્ર શિવની ભક્તિ કરાતી હોવાથી માતા પાર્વતી નારાજ થઇ ગયા. તેમણે સંતને કંકાલ બની જવાનો શ્રાપ આપ્યો. પરંતુ ભગવાન શિવના મનાવ્યા બાદ પાર્વતીએ સંતને ઉભા રહેવા માટે ત્રીજો પગ આપ્યો.



કથા- એકવાર શંકર અને પાર્વતીના પુત્ર ગણેશ અને કાર્તિક વચ્ચે પહેલા લગ્ન કરવાની વાતને લઇને વિવાદ થઇ ગયો અને પાર્વતીએ કહ્યું કે બંનેમાંથી જે આ પૃથ્વીની પરિક્રમા પહેલા કરશે તેના લગ્ન પહેલા થશે. કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા અને ગણેશે શંકર-પાર્વતીની પરિક્રમા કરી લીધી. શાસ્ત્રોમાં માતા-પિતાની પરિક્રમા પૃથ્વીની પરિક્રમા સમાન ગણાવવામાં આવી છે. માટે ગણેશના લગ્ન સિદ્ધિ અને બુદ્ધિ નામની બે કન્યાઓ સાથે કરી દેવામાં આવ્યા. આના કારણે કાર્તિકેય નારાજ થઇને શ્રી શૈલમ્ પર્વત પર ચાલ્યા ગયા. કાર્તિકેયને ખુશ કરવા માટે શિવ આ પર્વત પર જ્યોતિર્લિંગના સ્વરુપમાં પ્રગટ થયા. આ જ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન કહેવાયો. આ પહાડ ભ્રમરામ્બાદેવીના રુપમાં પ્રગટ થયો.



મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવનું પાષાણનું લિંગ છે. મુખ્ય મંડપના સ્તંભોમાં વિજયનગર શૈલીમાં બનાવવામાં આવેલી શિલ્પકલા જોવા મળે છે. શિવનો ગણ નંદી એક અલગ મંડપમાં જોવા મળે છે. અહીં નટરાજ અને સહસ્ત્રલિંગનું નાનું મંદિર પણ આવેલું છે. અહીં સહસ્ત્રલિંગની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે. મુખ્ય લિંગ 25 મુખોમાં વિભાજિત છે અને આ 25 મુખમાં દરેક લિંગ અન્ય 40 લિંગો દર્શાવે છે. આ પ્રકારે કુલ 1000 લિંગો હોવાથી આ લિંગ સહસ્ત્ર એટલે કે હજારલિંગ કહેવાય છે. આ લિંગની ચારે બાજુ ત્રણ મુખવાળો નાગ પણ કોતરવામાં આવ્યો છે.



ભગવાન મલ્લિકાર્જુનના આ મંદિરથી થોડે દૂર માતા ભ્રમરામ્બાનું મંદિર આવેલું છે. માતા મલ્લિકાર્જુનની અર્ધાંગિની છે. એવું માનવામાં આવે છે કે માતા ભ્રમરામ્બા એક માખીના રુપમાં અહીં ભગવાન શિવની ઉપાસના કરે છે. અહીં ભગવાન શિવના મલ્લિકાર્જુન નામમાં મલ્લિકાનો અર્થ છે પાર્વતી અને અર્જુન એટલે શિવ. શિવરાત્રિના દિવસે તેમની પૂજા અને આરાધનાનું ધાર્મિક મહત્વ છે. માનવામાં આવે છે કે આદિગુરુ શંકરાચાર્યે આ મંદિરમાં આવી ભગવાન મલ્લિકાર્જુનની ભક્તિમાં પ્રસિદ્ધ શિવાનંદ લહેરી અને માતા ભ્રમરામ્બાની સ્તુતિમાં ભ્રમરાન્બિકા અષ્ટકમ ગાયું હતું.



એવું કહેવામાં આવે છે કે રાવણનો વધ કર્યા બાદ શ્રીરામ અને સીતા પણ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શને આવ્યા હતા. દ્વાપર યુગમાં યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવે તેમની પૂજા-અર્ચના કરી હતી. રાક્ષસોના રાજા હિરણ્યકશ્યપ પણ તેમની પૂજા કરતા હતા. ત્યારબાદ મંદિરની સંપત્તિ લૂંટવાના ઇરાદા સાથે હિંદુ વિરોધી માન્યતા ધરાવતા લોકોએ અહીં તોડફોડ પણ કરી હતી. સમયાંતરે સાતવાહન, વાકાટક, કાકાતિય અને વિજયનગરના રાજા શ્રીકૃષ્ણદેવ રાય વગેરે રાજાઓએ મંદિરનું પુન:નિર્મણ કરી તેના વૈભવમાં વૃદ્ધિ કરી હતી. પછીના વર્ષોમાં મરાઠા શાસક શિવાજીએ પણ મંદિરના ગોપુરમનું નિર્માણ કરાવ્યું હતું. ધર્મગ્રંથોમાં એ મહિમા દર્શાવવામાં આવ્યો છે કે શ્રીશૈલમ્ શિખરના દર્શન માત્રથી જ મનુષ્ય તમામ કષ્ટોથી દૂર થઇ જાય છે અને અપાર સુખ પ્રાપ્ત કરી જન્મ-મરણના ચક્કરમાંથી તેને મુક્તિ મળે છે.



દર્શન કરવા લાયક અન્ય સ્થળો-



પંચમથમ- અહીં આવેલ ઘંટા મથમ, ભીમશંકર મથમ, વિભૂતિ મથમ, રુદ્રાક્ષ મથમ અને સંરગધારા મથમ પંચમથમના નામે પ્રસિદ્ધ છે.



શિખરેશ્વરમ- શિખરેશ્વરમ મંદિરનું પવિત્ર સ્થાન મુખ્ય મંદિરથી 8 કિલોમીટર દૂર છે. સમુદ્રથી તેની ઊંચાઇ 2830 ફૂટ છે. આ શ્રી સેલમ પર્વતનું સહુથી ઊંચું સ્થાન છે. સ્કંદપુરાણમાં પણ લખવામાં આવ્યું છે કે આ શિખરના દર્શનથી વ્યક્તિ જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થાય છે.



હાટકેશ્વરમ- આ દર્શનીય સ્થાન શ્રીસેલમથી 5 કિલોમીટર દૂર છે. લોકમાન્યતા અનુસાર ભગવાન શિવે એક ભક્તને અતિકા નાના નાના પાત્રમાં દર્શન આપ્યા. એ નામથી અતિકેશ્વરમ અને બાદમાં હાટકેશ્વરમ કહેવાયું.



ફલધારા-પંચધારા- મલ્લિકાર્જુનના મુખ્ય મંદિરથી 4 કિલોમીટર દૂર સ્થિત છે. એવી માન્યતા છે કે આદિગુરુ શંકરાચાર્યએ અહીં તપ કર્યુ અને પ્રસિદ્ધ શિવનંદલહરીની રચના કરી. આ તથ્યને પ્રામાણિત કરવા માટે અહીં માતા શારદાદેવી અને આદિ શંકરાચાર્યની સંગેમરમરની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.



સાક્ષી ગણપતિ- આ શ્રીસેલમથી 3 કિલોમીટર દૂર આવેલું પવિત્ર સ્થળ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ અહીં આવનારા દરેક તીર્થયાત્રીની ઉપસ્થિતિનો સાક્ષી રુપે હિસાબ રાખે છે. આ માટે તેમના સાક્ષી ગણપતિ થયા.



કૈલાશદ્વારમ- કૈલાશદ્વારમ શ્રીસેલમથી 5 કિલોમીટર દૂર અને હાટકેશ્વમની દક્ષિણ-પશ્વિમ દિશામાં સ્થિત છે. આ શ્રીસેલમ જવા માટેનો પ્રવેશ માર્ગ કે દ્વાર છે. વર્તમાન સમયમાં કર્ણાટક, મહારાષ્ટ્રમાંથી આવતા શિવભક્તો કૈલાશદ્વાર થઇને શ્રીસેલમ પહોંચે છે.



પહોંચવાના સંસાધનો-



બસ સુવિધા- આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદથી શ્રીશૈલમ જવા માટે બસો ઉપલબ્ધ છે. મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવું પડશે અથવા પાલખી કે બળદગાડાની મદદ લઇ શકાય છે.
રેલ્વેની સગવડ- હૈદરાબાદ, વિજયનગર અને કર્નુલ સુધી રેલ સુવિધા ઉપલબ્ધ છે. સહુથી નજીકનું રેલ્વે સ્ટેશન છે માર્કાપુર, જે ત્યાંથી લગભગ સો કિલોમીટર દૂર છે.
હૈદરાબાદમાં એરપોર્ટ છે. આ એરપોર્ટ દિલ્લી, મુંબઇ, કોલકત્તા, તિરુપતિ, ચેન્નાઇ, ભુવનેશ્વર, પુણા વગેરે શહેરો સાથે જોડાયેલું છે.
ક્યારે જવું જોઇએ? - નવેંબરથી ફેબ્રુઆરી માસ સુધીનું વાતાવરણ મલ્લિકાર્જુન જવા માટે સારું રહેશે.



સલાહ-



આ તીર્થ પહાડી વિસ્તારમાં છે. આ માટે અહીંની યાત્રી દુર્ગમ હોય છે. ચઢાણ દરમિયાન પાણીની સમસ્યા ઉદભવી શકે છે. આ માટે યાત્રીઓ પોતાની સાથે પાણી લઇ જઇ શકે છે. વૃદ્ધ વ્યક્તિઓ માટે પાલખી પરની યાત્રા જોખમી સાબિત થઇ શકે છે.

No comments: