Thursday, May 13, 2010

માનવજીવનમાં દર્શનનું મહત્વ...


મેં પુસ્તક ઓછાં વાંચ્યાં છે પણ મસ્તક ખૂબ વાંચ્યાં છે. છેલ્લાં પચાસ વરસથી મારી પોથી લઈને આખી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરું છે, મારી રામકથાએ મને અનેક મસ્તક વાંચવાનો અવસર આપ્યો છે. માનવીનું મસ્તક એક ઉત્તમ પ્રકારનું પુસ્તક છે. જે રીતે પુસ્તકને વાંચવા માટે એને ખોલીને એમાં પ્રવેશ કરવો પડે છે તે રીતે માનવીના મસ્તકને વાંચવા માટે પણ મસ્તકની અંદર પ્રવેશ કરવો પડે છે. આ મસ્તકના કુલ સાત દરવાજા છે. જેમાં બે આંખ છે, બે કાન છે, બે નાસિકા છે અને એક મુખ છે, તથા જે રીતે મસ્તકના સાત દ્વાર છે તેમ રામચરિત માનસનાં સાત સોપાન છે.

હવે આપણે માણસના મસ્તકનાં સાત દ્વારને માનસનાં સાત સોપાન સાથે સરખાવીને સમજવાનો પ્રયાસ કરીશું.માણસના મસ્તકનાં પ્રથમ બે દ્વાર એના ચક્ષુ છે. માણસની એક આંખ માનસનો બાલકાંડ છે અને માણસની બીજી આંખ માનસનો અયોઘ્યાકાંડ છે, કારણ બાલકાંડ અને અયોઘ્યાકાંડમાં આંખનું મહત્વ ઘણું વધારે છે. બાલકાંડની શરૂઆતમાં જ ગોસ્વામીજી લખે છે કે મારા ગુરુની ચરણરજથી હું મારી આંખોને પવિત્ર કરું છું. આમ માનસની શરૂઆત જ આંખથી થાય છે.

ત્યારબાદ અયોઘ્યાકાંડમાં મહારાજા દશરથ હવે યુવાન મટીને પ્રૌઢ થવા જઈ રહ્યા છે એનું ભાન એમની આંખો જ કરાવે છે. દશરથ એક દિવસ પોતાની આંખો વડે અરીસામાં જુએ છે અને દર્પણ હમેશાં સત્ય બોલતું હોવાથી એમને એમની વધતી જતી ઉમરનો અંદાજ આવે છે, અને પોતે નિસંતાન હોવાનું તીવ્રતાથી દુ:ખ થાય છે અને અહીંથી રામાયણની કથાનો આરંભ થાય છે, માટે મેં માણસની બન્ને આંખોને બાલકાંડ અને અયોઘ્યાકાંડ સાથે સરખાવી છે.આંખનું કામ દર્શન કરવાનું છે. આપણાં શાસ્ત્રોમાં છ પ્રકારનાં દર્શનનો મહિમા છે, પરંતુ મને માનસના આધારે જે દર્શનનો વિચાર આવ્યો છે તે મુજબ કહું તો માણસના જીવનમાં ત્રણ પ્રકારનાં દર્શનનું અત્યંત મહત્વ છે.

સ્વદર્શન : આજનો માણસ ઉપગ્રહ છોડી શકયો પણ પૂર્વગ્રહ છોડવામાં નિષ્ફળ ગયો. આજના માણસે ચંદ્ર ઉપર ઘ્વજ ખોડી દીધો અને પૃથ્વી ઉપર ઊભેલા માણસને તરછોડી દીધો હોય એવું લાગ્યા કરે છે. આમ થવાનું કારણ સ્વદર્શનનો અભાવ છે. સ્વદર્શન એટલે પોતાની જાતનું દર્શન કરવું. કયારેક એકાંતમાં બેસીને તટસ્થતાથી પોતાની જાતનું અવલોકન કરવું જોઈએ.

આપણે પોતે કોઈ પારકી વ્યક્તિ અથવા તો ત્રાહિત છીએ તેમ માનીને પોતાની જાતનું મૂલ્યાંકન કરો અને આપણી અપેક્ષા કરતાં વધુ સદગુણ જોવા મળે અને અપેક્ષાથી ઓછા દુર્ગુણ જોવા મળે તો ઈશ્વરનો ભીની આંખે આભાર માનવો અને કહેવું કે તમે મારા ઉપર ખૂબ અનુગ્રહ કર્યો છે.

પોતાનું દર્શન એટલે કે સ્વદર્શન કયાô પછી જે દુર્ગુણ જોવા મળે તે ધોવા માટે બહાર જવાની જરૂર નથી. માણસે પોતાના સદગુણ વડે પોતાના દુર્ગુણને દૂર કરવા જોઈએ. કોઈ આપણાં વખાણ કરે તો રાજી થઈ જવાની જરૂર નથી. એ વખતે સ્વદર્શન કરવું અને વખાણ પ્રમાણે ગુણ હોય તો રાજી થવું અને ન હોય તો વખાણ મુજબના ગુણોને પ્રાપ્ત કરવાના પ્રયાસોમાં લાગી જવું.

અગર કોઈ નિંદા કરે તો તરત જ દુ:ખી થઈ જવાની જરૂર નથી, પરંતુ સ્વદર્શન કરો અને એ મુજબના દુર્ગુણ દેખાય તો દુ:ખી થવું અને દુર્ગુણને ખુદના સદગુણ વડે જ દૂર કરવાના પ્રયત્નમાં લાગી જવું અને સદ્નસીબે લોકનિંદા મુજબના દુર્ગુણ આપણામાં ન જોવા મળે તો ઉત્સવ મનાવવો અને ઈશ્વરના આભારી થવું.

ભતૃર્હરિએ લખ્યું છે કે માણસમાં ક્રોધ હોય તો એને દુશ્મનની જરૂર નહીં, કારણ એનો ક્રોધ એને મારવા માટે સમર્થ છે. માણસ પાસે વિધા હોય તો એને સંપત્તિની જરૂર નહીં. સમાજનો વિધાવાન પુરુષ સંપત્તિની લાલચમાં રખડતો હોય તો માનવું કે વિધા ખોટી જગ્યાએ મહેમાન બની છે. માણસની પાસે ક્ષમા હોય તો કવચની જરૂર નહી, કારણ કોઈ માણસ તમને ગમે તેટલું નુકસાન પહોંચાડે પરંતુ તમે ઉદાર દિલ રાખીને એને માફ કરી દો પછી કોઈ બુલેટપ્રૂફ જેકેટની જરૂર નથી. માણસ પાસે કવિત્વ હોય તો રાજપાટની જરૂર નહીં, કારણ સત્તા, સંપત્તિ અને ઐશ્વર્ય કરતાં ઉમદા કવિત્વ ઘણાં મૂલ્યવાન હોય છે. છેલ્લે ભતૃર્હરિએ કહ્યું છે કે જ્ઞાતિ હોય પછી અગ્નિની જરૂર નહીં.

ઘણીવાર માણસને એની નાત નડે એટલું બીજા કોઈ નડી શકતા નથી. એક કૂતરો ચારધામની યાત્રા કરી આવ્યો. કૂતરાભગત પોતાને ગામ પધાર્યા એટલે સામૈયું થયું. કૂતરાને હારતોરા કરીને પોતાના યાત્રાના અનુભવો વિશે પ્રવચન કરવાનું કહેવામાં આવ્યું. કૂતરાએ દરેક તીર્થોનાં મહાત્મ્ય સાથે પોતાના સુખદ અનુભવોનો ચિતાર રજૂ કર્યો. ત્યારબાદ સભા સંચાલકે કહ્યું કે આપનો કોઈ દુ:ખદ અનુભવ ખરો? ત્યારે કૂતરાએ કહ્યું કે, હું જયાં જયાં ગયો ત્યાં મારી જ્ઞાતિએ મને બહુ હેરાન કર્યો. કૂતરો જયાં જયાં જતો ત્યાં બીજાં કૂતરાઓ એને ભસવા અને કરડવા દોડતાં હતાં, કારણ આ કૂતરો મોજ કરે એ બીજાં કૂતરાઓથી સહન થતું નહોતું. માનવીના જીવનમાં આવી ભૂલો ન થાય તે માટે સ્વદર્શન અત્યંત જરૂરી છે.

સમદર્શન : સમદર્શન એટલે જગતની તમામ વ્યક્તિનું સમાન ભાવથી દર્શન કરવું અને જે માણસ આ બીજા પ્રકારનું દર્શન કરી શકે તે સાચા અર્થમાં અજાતશત્રુ બની શકશે.

જીવનમાં બે પ્રકારના માણસો મળે, એક સુખ આપે અને બીજા દુ:ખ આપે. દુ:ખ આપનારા સાથે દુશ્મની બાંધતાં પહેલાં એટલું વિચારીએ કે વીજળી તો એકસરખી જ હોય છે પરંતુ એ વિધુતશકિત જો કૂલરમાં જાય તો ઠંડક આપે અને હીટરમાં જાય તો ગરમી આપે. એમ દરેક વ્યક્તિમાં મનુષ્યત્વ તો એકસરખું જ છે પણ એની બુદ્ધિ પરોપકાર માટે વપરાય તો સુખ આપે અને ઉપદ્રવ માટે વપરાય તો દુ:ખ આપે છે. બાકી દરેક મનુષ્યમાં પાવર એકસરખો જ વહે છે એવા ભાવથી જગતને જોઈ શકાય તો એ સમદર્શન છે. કદાચ દરેક મનુષ્યને સમાન ભાવથી ન જોઈ શકાય તો જીવનમાં સમતા રાખવી. આપણું અહિત કરનારને ચાહવો અઘરો છે. એવું ન થઈ શકે તો એક કામ તો અવશ્ય કરવું, આપણું હિત કરનારનો તિરસ્કાર ક્યારેય કરવો નહીં. આપણાં મા-બાપ, વડીલોને તો આદર આપવો જ જોઈએ પરંતુ આપણો નોકર, ડ્રાઈવર કે ચોકીદાર આપણા દાદાની ઉમરનો હોય તો એને માન આપવાને બદલે અપમાન કરવું તે બરાબર નથી. પોતાની આખી જિંદગી આપણા પરિવારની સેવામાં વિતાવી દેનારા વૃદ્ધ નોકરને પગે લાગવાથી માણસનાં પાપ બળી જશે એવી મારી શ્રદ્ધા છે.

સત્દર્શન : જીવનમાં જે સત્ય છે, જીવનમાં જે શુભ છે એનું દર્શન કરવું તે સત્દર્શન છે. મેં ઘણા એવા લોકો જોયા છે જે કોઈનાં વખાણ કરો તો રાજી ન થાય. એને લાખ રૂપિયા રોકડા આપો તો પણ રાજી ન થાય પરંતુ એની પાસે કોઈની નિંદા કરો તો ઉત્સવ હોય એટલા પ્રસન્ન થાય. આ દર્શન બરાબર નથી. કોઈ માણસમાં લાખ અવગુણ હોય અને એક જ સદગુણ હોય તો એના સદગુણને જોઈ લેવો અને અવગુણ તરફ નજર પણ ન કરવી એનું નામ સત્દર્શન છે.

No comments: