Friday, May 7, 2010

ચીન સામે કડક ભાષામાં વાત નહીં કરવાની આપણી નીતિ આપણી નબળાઈમાં ખપે છે!..

ચીન બ્રહ્મપુત્ર નદી ઉપર બંધ બાંધે છે એનો વિરોધ આપણે ૨૦૦૬થી કરતા આવ્યા છીએ
અને છેવટે ૨૦૦૯માં ફેબુ્રઆરીમાં એ બંધના સેટેલાઈટથી લીધેલા ફોટા
આપણા અખબારોએ પ્રગટ કર્યા પછી ચીન કબુલ થયું!


આપણા મૌનને ચીન આપણી નબળાઈ સમજે છે


મીડીયામાં ચીનની દાદાગીરીના અહેવાલો આવે તો આપણી સરકાર આપણને જ ઠપકો આપે છે!
તિબેટમાંથી નીકળીને ભારત અને બંગલાદેશમાં થઈ વહીને હિંદ મહાસાગરને મળતી આપણા પૂર્વભારતના છ રાજ્યોને જીવાડતી બ્રહ્મપુત્ર નદી આપણા માટે ગંગા, યમુના, નર્મદા, તાપી, મહી, ગોમતી, ગોદાવરી વગેરે સેંકડો નદીઓ જેવી જ મહત્ત્વની નદી છે.

કુલ એટલે મૂળથી તે મુખ સુધી એની લંબાઈ ૨૯૦૬ કી.મી. છે. જેમાંના ૧૬૨૫ કી.મી.એ તિબેટ એટલે અત્યારે એ ચીનના કબજામાં છે.


4n1.gifએટલે ચીનના પ્રદેશમાંથી પસાર થાય છે અને આપણા દેશમાંથી તો ૯૧૮ કી.મી. જ પસાર થાય છે. એને તિબેટ (એટલે હવે ચીન) સાન્ગપો નામ આપેલું છે પણ આપણે ભારતીય સંસ્કૃતિ ક્યાં સુધી વિસ્તરેલી હતી એ દર્શાવતું સૂચક નામ બ્રહ્મપુત્ર આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય નિયમોને નેવે મૂકીને ચીને એ બ્રહ્મપુત્ર નદી ઉપર બંધ બાંધવાનું શરૂ કરેલું એની તૈયારી ૨૦૦૬ની સાલથી શરૂ થયેલી અને આપણી સરકારે એનો વિરોધ ત્યારથી કરેલો પરંતુ ‘ગિલ્ટી કોન્શીયસ’ (ગુનાઈત માનસ, પેટમાં પાપ, બદઈરાદો) ચીન હતું એટલે એણે ‘એવું કંઈ છે જ નહીં,’ ‘બંધ બાંધતા નથી’ જેવું કહીને આપણને ખોટા પાડવાનું ચાલુ રાખેલું. જેને આપણી ડરપોક અમલદારશાહીની સલાહ માનીને આપણી સરકારે સાચું માનીને મૌન ધારણ રાખેલું.


પરંતુ આપણી અખબારી દુનિયા, મીડિયા સામ્રાજ્ય એવી ખોટી પીછેહઠ કરનારું નથી. આપણા વિદેશ ખાતાના અમલદારોએ ચીનના એ જૂઠાણાને માનીને ઓક્ટોબર, ૨૦૦૯ના ૧૫ તારીખે જાહેર કરેલું કે, ‘ચીન અને ભારત વચ્ચેની એકબીજાની સરહદમાંથી વહેતા નદીઓના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવા નિષ્ણાતોની મંત્રણા રાખવાની બાબતમાં ચીન અને ભારત ૨૦૦૬ના નવેમ્બરમાં સહમત થયા હતા.

એ પછી એની ચર્ચા કરવા ત્રણ બેઠકો થઈ હતી. એમાં ચીને એવો દાવો કર્યો હતો કે... બ્રહ્મપુત્રાના પાણી ઉપર અંકુશ આવે એવો કોઈ મોટો પ્રોજેક્ટ (યોજના) ચીનની નથી.’


૨૦૦૬માં અખબારોએ પહેલીવાર આ બંધની ચીનની યોજનાના સમાચારો છાપ્યા પછી આપણી સરકાર જાગેલી અને ચીનને પૂછતા ચીને પેલો ગોળગોળ જવાબ આપેલો એટલે આપણી સરકારની નીતિ રહી છે એમ ચીન સામે ચૂપ થઈ ગયેલી.


પરંતુ આપણા અખબારો ચીનનું જૂઠાણું ચલાવી લે એવા નથી. બ્રહ્મપુત્ર નદી ઉપર ચીન બંધ બાંધી રહ્યું છે એ દર્શાવતા સેટેલાઈટથી પાડેલા ફોટા આપણા અખબારોએ પહેલા પાને પ્રગટ કર્યા.


આપણા દેશના પૂર્વના રાજ્યો માટે બ્રહ્મપુત્રનું પાણી જીવાદોરી સમાન છે. ચીન એની ઉપર બંધ બાંધીને નદીનું પાણી બીજી દિશામાં વાળે તો પૂર્વના આપણા રાજ્યો મુસીબતમાં આવી જાય.


જો કે આપણા વડાપ્રધાન મનમોહનસિંહે ૨૦૦૮માં આ અંગે બેજીંગમાં ચીનના વડાપ્રધાન હુ જીનતાઓ સાથે લંબાણથી ચર્ચાઓ કરી હતી. પરંતુ ચીન એમ આપણું માનીને (વિરોધ) બંધનું કામકાજ બંધ કરી દે તેમ તો હતું જ નહીં. ઉલટાનું ચીને બ્રહ્મપુત્ર ઉપર બંધ બાંધવાનું ઝડપી બનાવ્યું. ગેઝ હોઉબા કોર્પોરેશન નામની ચીનની એન્જીનીયરીંગ અને બાંધકામની મોટામાં મોટી કંપની છે એને બ્રહ્મપુત્ર નદીના મઘ્યમાં ઝાન્ગમુમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ બાંધવા માટે ૧.૧૪ બિલિયન યુઆનનો કોન્ટ્રાક્ટ ૨૦૦૯ની એપ્રિલમાં આપી પણ દીધો.


ચીન બનાવટ કરતા કહે છે કે આ પ્લાન્ટ ‘નાનો’ છે પણ હકીકતમાં આ પ્લાન્ટ એવો મોટો છે કે એને ચીન જેવું ચીન પણ ૨૦૧૫ના ડિસેમ્બર પહેલાં પૂરો નહીં કરી શકે.


આ ઉપરાંત બ્રહ્મપુત્ર નદી ઉપર બીજા ચાર બંધ જીઆચા, ઝોન્ગડા, લેન્ગડા, જીએક્સુ અને લાન્ગશામાં બાંધવાની ચીનની યોજના છે.


બ્રહ્મપુત્ર ઉપર તિબેટમાં જે વિશાળ બંધ ચીન બાંધી રહ્યું છે એનો વિરોધ તિબેટવતનીઓએ કરેલો તો એમની ઉપર ચાઈનીઝ પબ્લીક સિક્યોરીટી બ્યુરો અને પીપલ્સ આર્મડ પોલિસે ગોળીબાર કરેલો જેના કારણે છ મહિલાઓ મરી ગઈ હતી.


આથી તો, લોકસભામાં ભાજપના સભ્ય કુમાર દીપક દાસે જણાવેલું કે, ‘એ ડેમ ૪૫૦ મેગાવોટ હાઈડ્રો ઈલેકટ્રીક પ્રોજેક્ટ છે જેને ચીન ‘નાનો’ પ્રોજેક્ટ કહે છે એમ ‘નાનો’ કહી શકાય નહીં.’


જેના જવાબમાં આપણા વિદેશપ્રધાને કહેલું કે... ‘આ મુદ્દાની ચર્ચા કરવા માટે નિષ્ણાતોની મીટીંગો કરવામાં આવે છે.’


જો કે ચીને ખાતરી આપી હોવા છતાં આપણી સરકાર હવે ચીન ઉપર વિશ્વાસ નથી રાખતી એટલે નદી ઉપર નજર રાખી રહી છે. (આપણા વિદેશખાતાના મહાસચિવ અગાઉ ચીનમાં એલચી તરીકે રહી ચુકેલા છે... એ ઘ્યાનમાં રાખવાનું છે.) ૨૦૧૦ના શરૂઆતના મહિનામાં બ્રહ્મપુત્ર નદીના કાંઠાના દેશોના ૨૫ નિષ્ણાતોની મીટીંગ ઢાકામાં થઈ હતી.


૧૯૯૭માં યુનોએ સરહદ ઓળંગતા પાણી વિશે કરાર પણ થયેલા છે છતાં ઢાકાની ૨૦૧૦ની પેલી મીટીંગમાં કોઈપણ દેશે (એટલે બાંગલાદેશ, ભારત, બ્રહ્મદેશ-બર્મા-મ્યામાર) ચીનના ડેમનો વિરોધ નહીં કરેલો.


૨૨ એપ્રિલે રાજ્યસભામાં (સંસદ) ભાજપના સભ્ય રવિશંકર પ્રસાદને જવાબ આપવા વિદેશપ્રધાન એસ.એમ. કૃષ્ણાએ કબુલ્યું હતું કે બ્રહ્મપુત્ર નદી ઉપર ચીન બંધ બાંધે છે એ સાચું પણ પડોશી દેશે (જોયું? ચીનનું નામ પણ લેતા આપણા વિદેશપ્રધાન ડરે છે... આવા પ્રધાન હોય ત્યાં ચીન દાદાગીરી કરે જ ને? શા માટે ન કરે?) આપણને આશ્વાસન આપ્યું છે કે, ‘‘આ બાંધકામથી ભારતમાં આ નદીના વહેણ ઉપર કશી અસર નહીં પડે.’’ (ચીન અથવા બીજો કોઈ ગુનેગાર હોય એ એમ જ જવાબ આપેને? એ કે કોઈ ગુનેગાર શું એમ કહે કે... હા, ભારતને અસર પડશે? અથવા હા, મેં ખૂન કર્યું છે? કે મેં ચોરી કરી છે?) (આવા આશ્વાસનોથી આપણે સંતોષ માનીને ચૂપ રહેવું ન જોઈએ.. સામો જવાબ આપવો જોઈએ.


ચીન આપણા કરતાં ઘણું વધારે તાકાતવાન છે... કદાચ દુનિયામાં અમેરિકાને હંફાવવાની ચીનની તાકાત છે પણ એથી આપણે ડરી જવાનું ન હોય.)


આપણા વિદેશપ્રધાને વઘુમાં સંસદમાં કહેલું કે, તિબેટના જાંગમ્ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદી ઉપર ચીન બંધ બાંધી રહ્યું છે.


ચીનના વિદેશપ્રધાને ભારતને આશ્વાસન પણ આપ્યું છે કે એના કારણે ભારતમાં આ નદીના પ્રવાહ ઉપર કોઈ અસર પડવા દેવાશે નહીં.


સંસદમાં એ પછી રવિશંકર પ્રસાદે આ બાબતમાં સંસદમાં ચર્ચા કરવાની માંગણી કરેલી પણ રાજ્યસભાના પ્રમુખ હામિદ અન્સારીએ એની મંજુરી નહીં આપેલી.


એક બીજા પ્રશ્નના જવાબમાં વિદેશ પ્રધાન કૃષ્ણાએ કહ્યું કે... ચીન અને ભારત વચ્ચેના પ્રશ્નોનો ઉકેલ લાવવા અત્યાર સુધીમાં ૧૩ બેઠક થઈ ગઇ પણ હજી વાત (પ્રશ્નો) ત્યાં ને ત્યાં અટકેલા છે.


ખરી વાત એવી છે કે, ચીન હોય કે પાકિસ્તાન હોય કે અમેરિકા હોય પણ આપણને પેલી ૬૦૦ વર્ષની ગુલામીના કારણે દબાતા રહેવાની ટેવ પડી ગઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇંદિરા ગાંધી સિવાયના જે સત્તાધિશો આઝાદી પછી આવ્યા એ બધા જ પેલી દબાતા રહેવાની ટેવના ભોગ બનેલા જ હતા.


ચીન સામે આપણી અત્યારની સરકારે બે જ વખત ખોંખારીને બોલેલું. એક તો, અરૂણાચલ પ્રદેશના પ્રવાસે આપણા વડાપ્રધાન મનમોહનસિંહ હમણાં ગયેલા ત્યારે અને પછી આપણા આશ્રિત છે એ તિબેટના દલાઈ લામા અરૂણાચલ પ્રદેશના પ્રવાસે ગયેલા ત્યારે બન્ને વખતે ચીને વિરોધ કરેલો જેનો આપણે વિરોધ કરતો જવાબ આપેલો.


‘‘ચીન સાથે કડક ભાષામાં આપણે વાત કરવી ન જોઈએ.’’ એવી નીતિ પેલી અમલદારશાહીની સલાહના કારણે આપણે રાખી છે એ સલાહ આપણે કદી માનવી ન જોઈએ.


પરંતુ ભાજપની હોય કે કોંગ્રેસની હોય કે જનતા મોરચાની હોય પણ દરેક સરકાર અમલદારશાહીની સલાહ પ્રમાણે જ વર્તતી હોય છે. એટલે તો, મીડીયા (અખબારો, ટી.વી. વગેરે)ને આપણી સરકાર આવી બાબતમાં ઠપકો આપતી હોય છે. દા.ત. ભારત અને ચીન વચ્ચે ૪૦૦૦ કી.મી. લાંબી વાસ્તવિક અંકુશ રેખા (એલઓસી લાઈન ઓફ કન્ટ્રોલ) છે જેનો ચીન વારંવાર ભંગ કરીને આપણી સરહદમાં ધૂસી આવે છે.


આ સમાચારો આપણા મીડીયાએ આપ્યા તો અમલદારોની સલાહ પ્રમાણે આપણી સરકારે ચીનને ઠપકો આપવાના બદલે અખબારોને ઠપકો આપ્યો. આપણી અમલદારશાહી એમ માને છે કે ચીન સાથેના સંબંધો બગડે એવું આપણે કશું કરવું નહીં.


એમણે તો ત્યાં સુધી મીડીયાને કહેલું કે... ચીન આપણી સરહદમાં ધુસી આવે છે તો શું થયું? કોઈકવાર એમનાથી ભૂલથી એવું થઈ જાય... એમાં કાગનો વાઘ ન કરાય.

આપણા આવા વલણનો, આપણી સદ્ઈચ્છાને બીજા દેશો અને ખાસ કરીને ચીન આપણી નબળાઈ સમજે છે.

No comments: