Monday, January 31, 2011

મુરતિયો શોધવામાં રખવાયા થશો નહીં.......


બાંધછોડના બહાને વહાલસોયીને દોઝખમાં ધકેલવી નહીં


દીકરીને મોટી થતાં વાર લાગતી નથી. તરુણાવસ્થાના ઊંબરે ડગ મૂકતી દીકરી ત્યારબાદ જાણે ખૂબ ઝડપથી યૌવાનાવસ્થાએ પહેોંચી જતી હોવાની અનુભૂતિ માતા-પિતાને થતી હોય છે અને આથી જ તેઓ પોતાની વહાલસોયી માટે યોગ્ય જીવનસાથી શોધવા માટે નજર દોડાવવા લાગે છે. આજની સુશિક્ષિત અને સંસ્કારી યુવતીઓ ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ કહેવતને અનુસરવાને બદલે પોતાના વિચારો અનુસારનો જીવનસાથી ઈચ્છતી હોય છે. તેને મન પૈસા અને દેખાવ કરતાં યુવકના વિચારો અને સંસ્કાર વઘુ મહત્ત્વના હોય છે. આ જ કારણે પોતાની લાડકવાયી માટે યોગ્ય ભરથાર શોધતાં માતાપિતાની ઉંઘ ઊડી જાય છે.
લગ્નના હેતુસર પહેલી વખત ૨૧ વર્ષની વયે ઈશિતા માવાણીની યુવક સાથે મુલાકાત ગોઠવવામાં આવી હતી. નજીકના એક સગા દ્વારા માગું આવ્યું હતું અને તેમણે જ મઘ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી બંને પક્ષની મુલાકાતનું આયોજન કર્યુ ંહતું. પરંતુ યુવક એકદમ પાતળો અને લાંબો હતો જ્યારે ઇશિતા ભારતીય યુવતી જેવી સપ્રમાણ કદકાઠી ધરાવતી યુવતી હોવાથી દેખીતી રીતે જ તેમની જોડી શોભે એવી નહોતી. તેમ છતાં મુલાકાતની તમામ ઔપચારિક્તા તો બંને પક્ષે પૂરી કરવી પડી હતી.
આજે ઈશિતા ૨૫ વર્ષની થઈ ગઈ છે અને યોગ્ય જીવનસાથી મેળવવાની તેની ઝંખના હવે પ્રબળ બની છે. પરિવારમાં રહેલી ત્રણ બહેનોમાં ઈશિતા સૌેથી મોટી છે. તેની જ્ઞાતિમાં ૧૮ થી ૨૦ વર્ષની ઊંમરે મોટાભાગની યુવતીઓ પરણી જતી હોય છે અને આ દ્રષ્ટિએ જોઈએ તો ઈશિતા હવે ઘણી મોટી થઈ ગઈ છે. એટલે તેણે જીવનસાથી સંબંધિત નિર્ણય લઈ લેવો જોઈએ એવું દબાણ પણ કરવામાં આવે છે.
જો કે અંગત રીતે યોેગ્ય જીવનસાથી માટે હજુ થોડાં વર્ષો રાહ જોવામાં ઇશિતાને કોઈ વાંધો નથી. તેણે પોતાના પ્રિન્ટીંગનો વ્યવસાય શરૂ કર્યો છે. ઈશિતા પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય છે છતાં લગ્ન સંબંધિત મુલાકાતો માટે સમય કાઢે છે. તેના વડીલો સતત ‘આ જવાબદારી ક્યારે ઉતરશે’ તેની ચિંતામાં ડુબેલા હોય છે.
ઈશિતા જે મૂંઝવણ અનુભવે છે તે આજની મોટાભાગની શિક્ષિત અને પગભર યુવતીઓ અનુભવે છે. સ્વતંત્ર વિચારસરણી ધરાવતી અને હરવા ફરવાની શોખીન યુવતીઓની તમામ ઈચ્છા તેમના માતા-પિતા પૂરી કરે છે. પરંતુ પુત્રવઘૂ તરીકે તો તેમની પાસેથી માત્ર સેવા અને ત્યાગની જ અપેક્ષા રાખવામાં આવે છે. ત્યારે તેમના સ્વતંત્ર વ્યક્તિત્ત્વનો છેદ ઉડાડી દેવાય છે.
આજના ઘણા યુવકો જીવનસંગિની નહિ પરંતુ પોતાના માતાપિતાને સાચવે અને તેમની તમામ ઈચ્છા પૂરી કરે તેવી પૂત્રવઘૂ ઝંખતા હોય છે. તેમને પત્ની નહિ પણ સુપરવુમન જોઈતી હોય છે જે ઘરની જવાબદારીઓ ઉપાડવા સાથે આઘુનિક અર્ધાંગિની બની પોતાની તમામ ઈચ્છા પણ સંતોષે.
જ્ઞાતિમાં જ લગ્ન કરવા ઈચ્છતી યુવતીઓ સગાઓ દ્વારા દેખાડવામાં આવતાં યુવકને મળે છે. પોતાનો બાયોડેટા જ્ઞાતિના સામયિકમાં છપાવે છે તથા જાહેરખબર પણ આપે છે. લગ્નસંબંધિત સૌથી પહેલી મુલાકાત યુવતીના ઘરે ગોેઠવવામાં આવે છે. બીજી મુલાકાત રેસ્ટોરાંમાં ગોઠવાય છે અને યુવક-યુવતી એકમેકને પસંદ કરે તો ત્રીજી મુલાકાત યુવકના ઘરે ગોઠવવામાં આવે છે. જેથી યુવતી યુવકનું ઘર પણ જોઈ શકે.
પહેલી મુલાકાત વખતે જ યુવક-યુવતીમાંથી એક કે બંનેને પસંદ ન આવે તો તેઓ તરત જ જણાવતાં નથી. પરંતુ ‘બાદમાં ફોન કરીશું’ એવો જવાબ આપે છે. જો વિચારોમાં મેળ ન લાગતો હોવાના કારણસર યુવતી ના પાડે તો તેના વિશે જ્ઞાતિમાં જાતજાતની વાતો થવા લાગે છે. વળી યુવક-યુવતી બંને એકમેકને પસંદ કરે તો ક્યારેક જન્માક્ષર ‘વિલન’ બને છે. અથવા તો યુવક કે યુવતીનો મોટો પરિવાર પણ સંબંધમાં અવરોધક બને છે.
આ ઉપરાંત ભારતીય યુવક પોતે ભલે શ્યામ દેખાતો હોય છતાં પત્ની તો ગોરી જ હોવી જોેઈએ એવો આગ્રહ રાખે છે. આ કારણસર પણ ક્યારેક યુવતીનો શ્યામવર્ણ સંબંધમાં આડખીલીરૂપ બને છે.
સામાન્ય રીતે દીકરી ૧૮-૨૦ વર્ષની થતાં સુધીમાં તેના માટે યોગ્ય જીવનસાથી શોધવાની માતા-પિતાની કવાયત શરૂ થઈ જાય છે અને જો તે ૨૪-૨૫ વર્ષની થતાં સુધીમાં ક્યાંય મેળ બેસે નહીં તો ઘરનાંઓના ખાસ કરીને વડીલોેના જીવ અઘ્ધર થઈ જાય છે. તેઓ દીકરીને વળાવવા માટે અધીરા બની જાય છે. અને યુવતી પણ ચિંતીત બની જાય છે. આવા સમયે વડીલો તથા અન્ય સગા-સંબંધીઓ યુવતીને થોડી બાંધછોડ કરવાની સલાહ આપતાં હોય છે. પણ અહીં પ્રશ્ન એ છે કે બાંધછોડ ક્યાં કરવી? આજની મઘ્યમવર્ગની યુવતી એટલી સમજ તો ધરાવે છે કે તેને આમિર ખાન કે સલમાન ખાન જેવો દેખાવડો યુવક તો નહિ જ મળે. પણ શું તે સામાન્ય દેખાવની અપેક્ષા
પણ ન રાખે? તે જાણે છે કે ગાડી-બંગલાવાળો શ્રીમંત કુટુંબનો નબીરો તેને પસંદ નહીં કરે પણ યુવકનું પોતાનું નાનકડું ઘર હોવું જોેઈએ તેવી અપેક્ષા પણ ન રાખે?
પ્રત્યેક યુવતી ઘરનું ઘર અને સ્થિર આવક ધરાવતાં યુવકને જીવનસાથી તરીકે પસંદ કરવા ઈચ્છતી હોય છે અને તેમની આ ઈચ્છા ખોટી નથી. આજના મોેંઘવારીના જમાનામા ંસ્થિર આવક હોવી અત્યંત જરૂરી છે અને તેમાં બાંધછોડ કરવી અશક્ય છે. વળી આજે સમાજમાં બનતાં દહેજ મૃત્યુ કે આત્મહત્યાના બનાવોેને કારણે અજાણી જ્ઞાતિમાં સંબંધ બાંધતા ડર લાગવો પણ સહજ છે. આથી માતા-પિતાએ આવી સ્થિતિમાં દીકરીને સાથ આપવો જરૂરી છે. નવ મહિના કૂખમાં રાખીને જન્મ દેનારી માતા તથા લાડકોડથી દીકરીને ઉછેરનાર પિતાએ આવા સંજોગોમાં ધીરજ ખોવી જોઈએ નહીં. આ તમારી વ્હાલસોયીના જીવનનો સવાલ છે. એટલે થોડો વઘુ સમય રાહ જોઈ યોગ્ય યુવકના હાથમાં જ દીકરીનું જીવન સોંપવું. આમાં ઉતાવળ કરવી નહીં.

No comments: