Monday, January 31, 2011

પીડાદાયક રતિક્રીડાનું ટેન્શન..........


થોડી સાવચેતી રાખવાથી અને યોગ્ય તબીબી સલાહથી આવી સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવી શકાય છે


ક મહિલા અને પુરુષોના સંબંધોને ગાઢ બનાવવામાં શારીરિક નિકટતાનું પાસું અત્યંત મહત્ત્વનું છે. એક કહેવત છે કે જો પુરુષ અને મહિલા વચ્ચે શારીરિક સંબંધો મજબૂત હોય તો એ પરસ્પરના સંબંધોનો દસ ટકા હિસ્સો રોકે છે, પણ જો આ સંબંધો મજબૂત ન હોય તો એ પરસ્પરના સંબંધોનો નેવું ટકા હિસ્સો રોકી લે છે. આમ, સુખદ શારીરિક સંબંધો કોઈપણ યુગના સાયુજ્યનું મહત્ત્વનું પાસું છે. જોકે ઘણીવાર દંપતિને શારીરિક સંબંધો બાંધતી વખતે ભારે પીડાની અનુભવ થતો હોય છે અને જો આ પરિસ્થિતિ લાંબી ચાલે તો તેઓ પહેલાં એકબીજાથી શારીરિક રીતે અને પછી ક્રમશઃ માનસિક રીતે દુર થતા જાય છે. જો આ સમસ્યાને વધારે વિકટ બનતી અટકાવી હોય તો શરૂઆતના તબક્કામાં જ થોડી સાવચેતી રાખીને યોગ્ય તબીબી સલાહ લઈને ઉકેલ લાવી દેવો જોઈએ. અહીં કેટલીક એવી પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી છે જેમાં દંપતિને શારીરિક સંબંધો બાંધતી વખતે પીડાનો અનુભવ થઈ શકે છે.
નાની-મોટી ઇજા અને ઉઝરડાં ઃ શારીરિક સંબંધો દરમિયાન પીડા અનુભવતા મોટાભાગના દંપતિઓની સમસ્યા સંબંધ બાંધતી વખતે નાની-મોટી ઇજા અને ઉઝરડાં થઈ જવાની છે. આ પ્રકારની સમસ્યા થવાનું એકમાત્ર કારણ યોગ્ય પ્રમાણમાં શ્વ્લેષ્મ (લુબ્રિકન્ટ)ની કમી છે. હજી યોનિમાર્ગ પુરતો ભીનો ન થયો ત્યારે શુષ્ક યોનીમાર્ગમાં જ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરવાથી મહિલા અને પુરુષ બન્નેને પીડા અને ઇજાનો અનુભવ થાય છે.
આ સમસ્યાથી બચવા માટે શારીરિક સંબંધ બાંધતા પહેલાં ઓછામાં ઓછો વીસેક મિનીટ જેટલો સમય ફોરપ્લે (સંભોગ પહેલાંની રતિક્રિયા)માં ગાળવો જોઈએ. પુરુષ અને મહિલા બન્નેના પ્રજનનતંત્રમાં ખાસ પ્રકારની ગ્રંથિ હોય જેમાંથી ફોરપ્લે દરમિયાન શ્વ્લેષ્મનું નિર્માણ થાય છે અને શારીરિક સંબંધ સરળતાથી બાંધી શકાય છે. આમ, ફોરપ્લેને વધારે સમય ફાળવવાથી કુદરતી શ્વ્લેષમ ઉત્પન્ન થાય છે અને પીડા થવાની અને ઇજા થવાની ફરિયાદ દુર થાય છે.
સામાન્ય રીતે લગ્નજીવનની શરૂઆતમાં આ પ્રકારની સમસ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઘણી યુવતીઓના મનમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધોના મુદ્દે ઘણી ગ્રંથિઓ બંધાયેલી હોય છે અને આ કારણે જ શરૂઆતના તબક્કામાં શારીરિક સંબંધ બાંધવામાં તેમને સમસ્યા થતી હોય છે. આ સંજોગોમાં યુવતીના યોનિમાર્ગના સ્નાયુઓ કડક થઈ જતા હોય છે જેના કારણે પીડાનો અનુભવ થતો હોય છે. આ સંજોગોમાં શારીરિક સંબંધ બાંધતા પહેલાં થોડી ધીરજ રાખવી જરૂરી છે.
વધારે પડતો કડક યોેનીપટલ ઃ કેટલીક યુવતીઓનો જન્મથી જ યોનીપટલ વધારે પડતો કડક હોય છે જેનું છેદન સામાન્ય શારીરિક સંબંધોથી શક્ય નથી બનતું. આ સંજોગોમાં જો વધારે પડતું બળ વાપરવામાં આવે તો એને ઇજા થાય છે અને ભારે પીડા તથા રક્તસ્ત્રાવ થાય છે.
આ પ્રકારના યોનીપટલ ધરાવતી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરવાના બદલે એનેસ્થેશિયાની મદદથી બેભાનઅવસ્થામાં સર્જરી દ્વારા વધારે પડતા કડક યોનીપટલને દુર કરી દેવું જોઈએ. આ ઉપાય દ્વારા શારીરિક સંબંધ વખતની પીડાને દુર રાખી શકાય છે.
પેરાફીમોસીસ ઃ આ પ્રકારની સમસ્યાનો ભોગ પુરુષો બનતા હોય છે. આ પ્રકારના સંજોગોમાં પુરુષોના જનનાંગની બાહ્યત્વચા શારીરિક સંબંધો દરમિયાન એવી રીતે ફસાઈ જાય છે કે પછી સરકીને નીચે નથી ઉતરી શકતી. આ સંજોગોમાં બાહ્યત્વચા પર સોજો આવી જાય છે જેના કારણે પીડા અનુભવાય છે. જો આ પરિસ્થિત લાંબો સમય ચાલે અથવા તો રક્તનો પ્રવાહ અવરોધાય છે એવું લાગે તો તરત જ મેડિકલ સારવાર લેવી જોઈએ કારણ કે એના કારણે ગેંગ્રીન જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.
વિજાતીય પાત્ર સાથે શારીરિક સંબંધ બાંધવાના કારણે આવી સ્થિતિ ઉભી ન થાય એ માટે પહેલાં જ એકવાર પોતાની મેળે જનનાંગની સ્થિતિ ચકાસી લેવી જોઈએ.
પુરુષ જનનાંગ (શિશ્ન)નું ફ્રેક્ચર ઃ પુરુષ જનનાંગમાં હકીકતમાં કોઈ હાડકું નથી હોતું, પણ આમ છતાં એમાં ફ્રેક્ચર થઈ શકે છે. હકીકતમાં આ જનનાંગ જ્યારે ઉત્તેજિત અવસ્થામા કોઈ સખત કે કડક વસ્તુ સાથે અથડાઈ જાય છે ત્યારે આવી પરિસ્થિતિ ઉભી થઈ જાય છે. પુરુષ જ્યારે વધારે પડતી ઉત્તેજિત અવસ્થામાં જનનાંગને યોનિમાર્ગમાં દાખલ કરવાને બદલે આસપાસના વિસ્તારના હાડકાં સાથે દબાણપૂર્વક ભટકાડી દે છે ત્યારે આ ફ્રેક્ચર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ પ્રકારની સ્થિતિને કારણે પીડા, દુઃખાવો અને બીજી અનેક સમસ્યાઓ થઈ શકે છે.
ગુદામૈથુન ઃ ગુદામૈથુન કાનૂની રીતે ગુનો હોવા છતાં કેટલાક દંપતિઓને આ રીતે શારીરિક નિકટતાનો આનંદ માણવાનું અત્યંત પસંદ હોય છે જેના કારણે પછી શારીરિક તકલીફો ઉભી થાય છે. હકીકતમાં ગુદામાર્ગની રચના કુદરતી રીતે જ શારીરિક સંબંધો બાંધવા માટે નથી થઈ અને આ કારણે જ્યારે એમાં બળપુર્વક પુરુષ જનનાંગ નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે તો એની અંદરની દિવાલ અને સ્નાયુઓને ભારે ઇજા પહોંચવાની સંભાવના રહે છે. ઘણીવાર આ નુકસાન એટલું ભયંકર હોય છે કે મળમાર્ગનો મળ પેટના પોલાણમાં કે પછી યોનિમાર્ગમાં દાખલ થઈ જાય છે જેના કારણે સર્જરી કરવી પડે એવી સ્થિતિ ઉભી થઈ જાય છે.
આ પ્રકારની સમસ્યાથી બચવું હોય તો ગુદામૈથુનથી દુર રહેવું એ એકમાત્ર વિકલ્પ છે.


print share

No comments: