Saturday, June 12, 2010

ઇચ્છા પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ...

કહેવાય છે કે થોડાં વર્ષો પહેલાં સત્ય સાંઈબાબા ચાલી આવતા ત્યારે આ વૃક્ષ નીચે બેસીને લોકો સાથે સત્સંગ કરતા હતા...



આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ચિત્રાવતી નદીના કિનારે પુટપરતી ગામ છે. ગામની અંદર સત્ય સાંઈબાબાનો વિશાળ આશ્રમ આવેલો છે. જે આશ્રમ પ્રશોતિનિલિયમ તરીકે ઓળખાય છે.



આ વિશાળ આશ્રમની અંદર પોતાનું એરોડ્રામ, ગૌ-શાળા, ભોજનશાળા, મોટી હોસ્પિટલ, બાગ-બગીચા, મ્યુઝિયમ છે. અહીંની ભોજનશાળામાં રોજના હજારો માણસો જમે છે અને સેવા કરે છે. આ આશ્રમની અંદર કોઈને પગાર ચૂકવાતો નથી, કારણ કે અહીં બાબાના ભક્તો સેવા કરવા માટે આવે છે. અહીં કોઈ પણ જગ્યાએ દાનપેટી મૂકેલ નથી.



આ ગામની અંદર પહાડ પર એક વૃક્ષ આવેલું છે. જે વૃક્ષ કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે. જે મનની ઇચ્છા પૂર્ણ કરનાર વૃક્ષ છે. કહેવાય છે કે થોડાં વર્ષો પહેલાં સત્ય સાંઈબાબા ચાલી આવતા ત્યારે આ વૃક્ષ નીચે બેસીને લોકો સાથે સત્સંગ કરતા હતા અને ગામ લોકોના મનની ઇચ્છા પૂર્ણ કરતા હતા. સત્સંગમાં બેઠેલ ભક્તમાંથી જો કોઈ એક સફરજનની માગણી કરે અને બીજો કેળાની માગણી કરે તો બાબા તે બંનેને આ વૃક્ષ પરથી જ ફળ આપતા હતા.



હાલની તારીખે પણ ભક્તો પ્રશાંતિનિલિયમ આશ્રમ મુલાકાત લે છે ત્યારે આ કલ્પવૃક્ષની અચૂક મુલાકાત લે છે અને પોતાના મનની ઇચ્છા એક ચિઠ્ઠીમાં લખીને આ વૃક્ષની ડાળીએ બાંધે છે અને તેના પરિણામની અમુક માસ સુધી રાહ જુએ છે. અત્યારે આ કલ્પવૃક્ષની દરેક ડાળીઓ ઉપર હજારો ચિઠ્ઠીઓ બંધાયેલી છે તે મેં પ્રત્યક્ષ નિહાળ્યું છે.

No comments: