Friday, June 4, 2010

અષ્ટાંગ યોગ અંતિમ ચરણ...

અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ એટલે સમાધિ. અષ્ટાંગ યોગનું ઉચ્ચતમ સોપાન સમાધિ છે. આ ચેતનાનું એ સ્તર છે, જ્યાં મનુષ્ય પૂર્ણ મુક્તિનો અનુભવ કરે છે. સમાધિયોગ શાસ્ત્ર પ્રમાણે, ધ્યાનની સિદ્ધિ થવી જ સમાધિ છે.

પતંજલિ યોગસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે તદેવાર્થમાત્ર નિર્ભાસં સ્વરૂપશૂન્યમિવ સમાધિ (3-3) અર્થ- તે ધ્યાન જ સમાધિ છે, જ્યારે તેમાં ધ્યેય અર્થ માત્રથી ભાસિત હોય છે અને ધ્યાનનું સ્વરૂપ શૂન્ય થઈ જાય છે. એટલે કે ધ્યાતા (યોગી), ધ્યાન (પ્રક્રિયા) તથા ધ્યેય (ધ્યાનનું લક્ષ્ય) આ ત્રણેયમાં એકતા હોય છે. સમાધિ અનુભૂતિની અવસ્થા છે. તે શબ્દ, વિચાર અને દર્શન સૌથી પર છે.કેવી હોય છે સમાધિ?

સમાધિ યુક્તિ-તર્કથી પર એક અતિચેતનનો અનુભવ છે. આ સ્થિતિમાં મન એ ગુઢ વિષયોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, જે સાધારણ અવસ્થામાં બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થતું નથી. સમાધિ અને ઊંધ આપણને એક જેવી અવસ્થા પ્રતીત થાય છે, બંનેમાં આપણું બાહ્ય સ્વરૂપ સુષુપ્ત થઈ જાય છે.પણ સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ કરે છે કે જ્યારે કોઈ ઘેરી નિંદરમાં હોય છે, ત્યારે તે જ્ઞાન કે ચેતનની નિમ્ન ભૂમિ પર ચાલે છે. નિંદરમાંથી જાગ્યા બાદ તે પહેલા જેવી સ્થિતિમાં આવી જાય છે. તેમાં કોઈ પરિવર્તન નથી. પરંતુ જ્યારે મનુષ્ય સામાધિસ્થ હોય છે, ત્યારે તે સમાધિ પ્રાપ્ત કરતાં પહેલા તે મહામૂર્ખ રહ્યો હોય, અજ્ઞાની રહ્યો હોય તો સમાધિથી તે મહાજ્ઞાની બને છે.

No comments: